ભાવનગરનાં તળાવમાં પાંચ બાળકીઓ ડૂબી: ચારનાં મોત, એકને સ્થાનિકોએ બચાવી લીધી; બાળકીઓ કપડા ધોવા માટે તળાવમાં ગઈ હતી
- 21 May, 2024
ભાવનગરનાં બોર તળાવમાં પાંચ બાળકીઓ ડૂબી જવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. બોર તળાવમાં બાળકીઓ કપડા ધોવા ગઈ હતી. આ દરમિયાન એક બાળકી ડૂબી જતા અન્ય બાળકીઓ તેને બચાવવા દોડી હતી. તેના પગલે ચાર બાળકીઓ ડૂબી ગઈ હતી. આ દુર્ઘટનામાં પાંચમાંથી ચાર બાળકીઓના કરુણ મોત નીપજ્યા છે. જ્યારે એક બાળકીને બચાવી લેવામાં આવી હતી. સ્થાનિકોના પ્રયત્નના પગલે આ બાળકીને બચાવી લેવાઈમાં સફળતા મળી હતી.
બોરતળાવની આસપાસ જ રહેતી બાળકીઓ અને કિશોરી કપડાં ધોવા માટે એકત્રિત થઈ હતી. જે બાદ એક બાળકી અચાનક તળાવમાં ડૂબવા લાગતાં તેને બચાવવા માટે અન્ય બાળકીઓ પણ પાણીમાં કૂદી પડી હોવાનું જાણવા મળ્યું છે. તમામ બાળકીઓ ડૂબવા લાગતાં આસપાસના લોકોએ બચાવવા માટે પ્રયાસ કર્યા. હોસ્પિટલ લઈ ગયા બાદ ચાર બાળકીઓને મૃત જાહેર કરવામાં આવી છે જ્યારે એક બાળકી હાલ સારવાર હેઠળ છે.
14 મેના રોજ નર્મદા જિલ્લાના પોઇચા ગામ પાસે સ્વામિનારાયણ મંદિર તેમજ અન્ય ધાર્મિક સ્થાનોમાં દર્શન માટે આવેલા અમરેલીનાં મૂળ વતની અને હાલ સુરત રહેતા પરિવારના આઠ સભ્યો નર્મદા નદીમાં ન્હાવા ગયા હતા. ત્યારે તેઓ નદીના ઊંડા પાણીમાં ગરકાવ થયા હતા. જેમાંથી સ્થાનિકોએ એકને ડૂબતા બચાવ્યો હતો.
12 મેના રોજ નવસારીના દાંડીના દરિયામાં સાત લોકો ડૂબ્યા હતા. જેમાંથી ત્રણ લોકોનો બચાવ થયો હતો અને ચાર લોકો ગુમ થયા હતા. ત્યારબાદ ગુમ થયેલા લોકોની શોધખોળ તરવૈયાઓએ શરૂ કરી હતી. બાદમાં આ ચારેય લોકોના મૃતદેહ દાંડીના દરિયામાંથી મળી આવ્યા હતા. દરિયામાં ડૂબવાથી મૃત્યુ પામેલા લોકો ખડસૂપાના રહેવાસી હતા. આ તમામ લોકો રવિવારના દિવસે રજા હોવાથી દાંડીના દરિયામાં ન્હાવા માટે ગયા હતા.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ